=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૯

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૧૯







જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો ………………...જે ગમે જગત ગુરુ દેવ જગદીશને



હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે………………..જે ગમે જગત ગુરુ દેવ જગદીશને



નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે……………….જે ગમે જગત ગુરુ દેવ જગદીશને



ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે ……………………...જે ગમે જગત ગુરુ દેવ જગદીશને



ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેહને તે પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે…………………….જે ગમે જગત ગુરુ દેવ જગદીશને



સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું…………………...જે ગમે જગત ગુરુ દેવ જગદીશને