=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ઑગસ્ટ 2014

યોગવાશિષ્ઠ-૨


યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે?

૧) વૈરાગ્ય પ્રકરણ-

જ્યાં સુધી મુમુક્ષુ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી.
અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ,યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને
કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો  અને સંસારમાં રચ્યો પચ્યો મનુષ્ય પણ એકવાર તો મોહરહિત થાય.

૨) મુમુક્ષુ પ્રકરણ -

વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે  જ બંધન છે.
આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે,
પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી  તે સિદ્ધ થતો નથી.
જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો
ત્યાગ થઇ શકે છે,અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

૩) ઉત્પત્તિ પ્રકરણ-

મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે.
આ સંસાર,સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે.
એટલે મન નું સ્ફુરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે.
પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે.
“હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે,ત્યાં સુધી બંધન છે.પણ જયારે,
“આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે?

૪) સ્થિતિ પ્રકરણ-

બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો,  સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ  એ જ
ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે.
માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે.
સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત)  સ્થિતિ ઉદ્ભવે છે.
લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે.

૫) ઉપશમ પ્રકરણ -

જ્યાં સુધી મન ની સત્તા છે,ત્યાં સુધી દુઃખ છે,મનો નિગ્રહ કરી,થયેલા મનોનાશથી  (મન ના નાશથી)
દુઃખ નો પણ નાશ થઈ જાય છે.
વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે.
આ ત્રણે એક બીજાના સહચારી છે.વાસના ના નાશ થી મનનો નાશ થાય છે અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે
એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને
મન નો નાશ નથાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી.
અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.

સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે.સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે,માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ
કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે.

૬) નિર્વાણ પ્રકરણ-

શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ ,એ બાહ્ય સાધનો છે,તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ
કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ  અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે.

“મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે,તે બ્રહ્મ થી અને મારાથી
ભિન્ન  નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું"
આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી.
અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે.અને શરીર વિદ્યમાન (હોવા) છતાં
પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે.

    INDEX PAGE
     NEXT PAGE

યોગવાશિષ્ઠ-૧



યોગવાશિષ્ઠ માં શું છે?


યોગવાશિષ્ઠ શું છે?


જેણે માત્ર  “યોગવાશિષ્ઠ” નામ  જ સાંભળ્યું  હોય -તો તે એમ પણ કદાચ વિચારે કે-
કોઈ “યોગ” વિષે “વશિષ્ઠ મુનિએ”  લખેલ ગ્રંથ હશે.


પણ “યોગવાશિષ્ઠ” કે જેને  “યોગવાશિષ્ઠ-મહારામાયણ”--અથવા--”ઉત્તર રામાયણ” પણ કહે છે,
તે આદિ કવિ વાલ્મીકિજી એ લખેલ ગ્રંથ છે.


“વાલ્મીકિ રામાયણ” તરીકે અતિ પ્રખ્યાત થયેલ વાલ્મીકિજી એ લખેલ રામાયણ ના ગ્રંથ ને
“પૂર્વ-રામાયણ" પણ કહે છે -કે જેમાં-
શ્રીરામ ના જન્મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વર્ણવી છે.
શ્રીરામજી નું છ કાંડો માં -જીવન ચરિત્ર વર્ણવ્યું  છે.  


ત્યાર બાદ વાલ્મીકિજીએ  “યોગવાશિષ્ઠ” (ઉત્તર-રામાયણ) નું  સર્જન કર્યું,કે
જેમાં શ્રી રામને આવેલા “તીવ્ર વૈરાગ્ય" ના પ્રસંગે વશિષ્ઠે,
શ્રીરામને આપેલા ઉપદેશ નું વર્ણન કર્યું છે.
કે જેમાં -
“સંસાર માં રહી સંસાર ના કાર્યો કરવા છતાં સંસારથી અલિપ્ત (અનાસક્ત) રહી ને
જીવન-મુક્તિ (વિદેહ અવસ્થા) નો અનુભવ કેવી રીતે લઇ શકાય?”
તેનું અદભૂત અને સુંદર વર્ણન કર્યું છે.


સામાન્ય બુદ્ધિ ને અઘરા લાગતા ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતો ને સહેલાઈ થી સમજી શકાય તે માટે-
અનેક દૃષ્ટાંતો અને ઉપમા ઓ આપીને સરળ શૈલીમાં લોકભોગ્ય બને તે રીતે વાલ્મિકીજીએ
યોગવાશિષ્ઠ નું નિર્માણ કર્યું છે.


પૂર્વ-રામાયણ (વાલ્મીકિ રામાયણ) માં જેમ છ કાંડો માં મર્યાદા પુરુષોત્તમ રામજી નું જીવન ચરિત્ર છે,
તેમ
ઉત્તર-રામાયણ (યોગવાશિષ્ઠ-મહારામાયણ) પણ છ પ્રકરણો માં વિભાજીત છે.
(૧) વૈરાગ્ય (૨) મુમુક્ષુ (૩) ઉત્પત્તિ (૪) સ્થિતિ (૫) ઉપશમ (૬) નિર્વાણ ---(કુલ-૩૨૦૦૦ શ્લોક)
(બધું ના વંચાય તો-યોગવાશિષ્ઠ નું પહેલું વૈરાગ્ય પ્રકરણ તો દરેકે એક વખત કે વારંવાર વાંચવા જેવું છે)


ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે,કે જેમાં ઈશ્વર (કૃષ્ણ) જીવ (અર્જુન) ને બોધ આપે છે,
જયારે અહીં રામાયણમાં- રામજી ને આવેલા તીવ્ર વૈરાગ્ય ના -એક પ્રસંગ ને અલગ કરી ને લીધો છે કે-જેમાં
જીવ (વશિષ્ઠ) એ ઈશ્વર (રામ) ને બોધ આપે છે!!!!


શ્રીરામ ના તીવ્ર વૈરાગ્ય નો પ્રસંગ કંઈક આવો છે.
શ્રીરામ વિદ્યાભ્યાસ પુરો કરી તીર્થયાત્રા કરવા જાય છે,ત્યાંથી પાછા ફરવા બાદ,તેમને સંસારના પદાર્થો પ્રત્યે
તીવ્ર વૈરાગ્ય પેદા થયો.અને તે સંસારિક કર્યો અને ભોજન થી પણ ઉદાસીન થઇ એકાંત સેવન કરવા લાગ્યા,
દિન-પ્રતિદિન તેમનું શરીર કૃશ અને નિર્બળ થવા લાગ્યું.પિતા દશરથ ને અત્યંત ચિંતા થાય છે.


એવે સમયે વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજા ની સભામાં આવી ને પોતાના યજ્ઞ-કાર્ય માં વિઘ્ન કરનારા
રાક્ષસોને મારવા માટે શ્રીરામચંદ્રજી ની માગણી કરી.રાજા દશરથે પોતાના પુત્ર શ્રીરામ પ્રત્યેના અત્યંત સ્નેહ ને
કારણે દીનતા પ્રગટ કરી ને શ્રી રામને આપવામાં સંકોચ કર્યો.વળી તેમણે રામની દશા પણ વર્ણવી.


ત્યારે વિશ્વામિત્રે રામજી ને સભામાં બોલાવી તેમની મનો-વ્યથા નું કારણ પૂછ્યું.
ત્યારે શ્રી રામ પોતાના સંસાર પ્રત્યે અરુચિ  ધરાવતા મન ની દશાનું વર્ણન કરતાં કહે છે કે-


આ સંસારમાં કોઈ પણ વસ્તુ અવિનાશી ને આનંદદાયક નથી.બાળપણ,જુવાની,વૃદ્ધત્વ અવસ્થાઓ અને
ધન,ભોગ વગેરે પદાર્થો માં પણ કોઈ સ્થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોહિત થઇ ને,
તેમાં જ જન્મ ગુમાવી દઈ આત્મ ચિંતન માં લક્ષ્ય આપતા નથી.આ સર્વ નું કારણ આપણી વાસના જ છે.
અને તે વાસના થી હું મુક્ત થવા ઈચ્છું છું.


પછી સભામાં બેઠેલા વશિષ્ઠ,વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ ઉપસ્થિત હતા તેમને પ્રાર્થના કરી કે-
આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોક-સાગર થી પાર ઉતરી શકું.
ત્યારે વિશ્વામિત્રે,વશિષ્ઠજી ને કહ્યું કે-આપ શ્રી રામ ને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાન-રૂપી
અંધકાર દૂર થાય.
આથી વશિષ્ઠજી એ રામચંદ્રજી ને આ “યોગવાશિષ્ઠ-મહારામાયણ" શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો.
કે જેનું વર્ણન વાલ્મીકિ જી એ આ સંક્ષિપ્તમાં “યોગવાશિષ્ઠ” ના નામે ઓળખાતા આ ગ્રંથ માં કર્યું છે.


 
    INDEX PAGE
     NEXT PAGE