=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-04

રામાયણ-રહસ્ય-04


ઘણા મહાત્માઓ કહે છે કે-પરમાત્મા અંશી છે અને જીવ ઈશ્વરનો અંશ છે.
સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ છે,તેમ પૂર્ણ આનંદ ઈશ્વર (અંશી) નો અંશ પણ આનંદ સ્વ-રૂપ જ છે.

જેમ, જળ નો સહજ ગુણ જેમ શીતળતા છે,અગ્નિ નો સહજ ગુણ જેમ ઉષ્ણતા છે,
તેમ જીવ નો સહજ ગુણ આનંદ છે.પણ અવિદ્યા (અજ્ઞાન-માયા) રૂપી પડળ ફરી વળતાં જીવ તે વાત ભૂલી ગયો છે.તેને પોતાના સ્વ-રૂપ નું વિસ્મરણ થયું છે.
જીવ ને આ ભૂલી ગયેલી વાત નું સ્મરણ થાય તેને માટે હરિકથા અને હરિનામ નો આશ્રય લેવાનો છે.

સમુદ્ર ને તરવા માટે જેવી રીતે નૌકા છે,તેમ આ સંસાર સમુદ્ર ને તરવા ની નૌકા હરિકથા-હરિનામ છે.
વાલ્મીકિજી એ આપણા પર દયા કરી આ હરિકથા-રામકથા –રૂપી નૌકા નું દાન કર્યું છે.

આનંદ એ જો પરમાત્મા નું સહજ સ્વરૂપ છે,તો આત્મા (જીવ) નું પણ એ જ સ્વરૂપ કહી શકાય.
સુખ-દુઃખ એ આત્મા ના ધર્મ નથી.આત્મા એ સુખ-દુઃખ થી લેપાતો નથી.
જે આ સાચી રીતે સમજે છે તે,સુખ-દુઃખ ને અસ્વાભાવિક સમજી તેની અસર થી દૂર રહે છે.

સુખ અને દુઃખ નિત્ય ટકતું નથી,બંને અનિત્ય અને  ક્ષણભંગુર છે.
નિત્ય એ માત્ર પરમાત્મા નો સહજ-સ્વાભાવિક આનંદ છે.માટે સુખ-દુઃખ ની આળપંપાળ કરવી જોઈએ નહિ.
જીવ પોતે પણ આનંદ-સ્વ-રૂપ હોવાં છતાં પોતાની અંદર આનંદ શોધવાને બદલે, બહાર આનંદ ખોળે છે.એ માર ખાય છે,અને આનંદ પામી શકતો નથી.

એક મૂર્ખ માણસ હતો તેની વીંટી ખોવાઈ ગઈ,અને ઘરની બહાર રસ્તામાં વીંટી શોધતો હતો.
ત્યાં કોઈકે પૂછ્યું કે-ભાઈ તું શું શોધે છે ?તો પેલો માણસ કહે છે કે-વીંટી શોધું છું.
પેલાએ પૂછ્યું કે –શું વીંટી અહીં પડી ગઈ છે?ત્યારે પેલો માણસ કહે છે કે-
વીંટી તો ઘરમાં પડી ગઈ છે પણ ઓરડામાં અંધારું છે એટલે અહીં બહાર અજવાળા માં ખોળવા આવ્યો છું.

આવી જ કંઈક વાત જીવ ની છે. પોતાની અંદર રહેલા આનંદ ને તેની જગ્યાએ ખોળવા ને બદલે તે
આનંદ ને સંસારમાં ખોળે છે.એને  કોઈ પૂછે તો કહે છે કે-
“હું સંસારમાં રહું છું એટલે આનંદ ને સંસારમાં ખોળું છું”
પરંતુ સંસારના વિષયો માણસને આનંદ આપતા નથી.સ્ત્રી,ધન,યશ,ઘર,ગાડી-એ કશામાં સાચો આનંદ નથી.
જેમ,જયારે શરીર પર ગલી-પચી કરવામાં આવે તો તે ક્ષણિક આનંદ આપે,માત્ર થોડા સમય માટે,
તેમ સંસાર નો આ આ ક્ષણિક આનંદ છે,તે સાચો નથી.

આનંદ માત્ર તેના ઉદ્ગમસ્થાન માં થી જ મળે.
જે વસ્તુ જ્યાં હોય,ત્યાં શોધો તો જ તે મળે.જ્યાં નથી ત્યાં શોધો તો માથું પછાડી મરો તો યે તે ના મળે.
સંસાર ના વિષયો આનંદ આપતા નથી,પણ સુખ-દુઃખ આપે છે.
જે સુખ આપે તે જ એક દિવસ દુઃખ પણ આપે છે.

જીવ ને આવા નાશવંત સુખ ની નહિ પણ,સદા ટકે તેવા નિત્ય સુખ ની –આનંદની ભૂખ છે.
એને એવું સુખ જોઈએ છે કે જે કદી ખૂટે નહિ કે ખોવાય નહિ.
સંસારના વિષયોમાં આનંદ છે એવું ઘડીભર માની લઈએ,પણ એમ માની લેવાથી કંઈ વળતું નથી.
પણ જીવ ને વારંવાર અનુભવ થાય છે કે-ક્ષણો માં તે સુખ જતું રહે છે.અને દુઃખ નું આગમન થાય છે.
તેમ છતાં જીવ સુધરતો નથી.
PREVIOUS PAGE       INDEX PAGE         NEXT PAGE