=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-16

રામાયણ-રહસ્ય-16

સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્ય ને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્ય નો વિધાતા છે.
ઉદ્ધરેદાત્મનાત્માનમ....પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજી માં લખ્યું છે.
તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગ માં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.

ગીતાજી માં કહે છે કે-બધા યજ્ઞો માં હું જપયજ્ઞ છું.
જપયજ્ઞ એ પ્રભુ નું સ્વ-રૂપ છે.શ્રેષ્ઠ છે.ઈશ્વર ને મેળવવાનું એક સાધન જપયજ્ઞ છે.
શાસ્ત્રોમાં જપ ને માનસિક તપસ્યા કહે છે.જપયજ્ઞ ને મંત્ર યોગ પણ કહે છે.
જપ દ્વારા ઈશ્વર સાથે એકતા સાધવાની હોય છે,યોગ સાધવાનો હોય છે.

માળા ફેરવવાનું દુનિયાના બધા ધર્મો માં છે.ખ્રિસ્તીઓ અને મુસલમાનો પણ માળા ફેરવે છે.
આપણા સનાતન ધર્મમાં જપ ની અને મંત્ર ની એક વિદ્યા છે તે અજોડ છે.

મહાન ઋષિઓ એ મંત્ર નો પાઠ સિદ્ધ કરી સામાન્ય માણસ ને માટે મંત્રો નક્કી કર્યા છે.
મંત્ર-જપ વખતે એક ચોક્કસ નાદ ઉત્પન્ન થાય છે.મંત્ર ની શક્તિ એ શબ્દ (નામ) ની શક્તિ છે.
અને શબ્દ ની શક્તિ તે પરમાત્મા ની શક્તિ છે.તેથી તેને શબ્દ-બ્રહ્મ પણ કહે છે.
યોગીઓ ને સમાધિ માં અનાહત નાદ સંભળાય છે.
અનાહત એટલે જેને કોઈ વગાડનાર નથી છતાં વાગે છે તે......

જપ કરવાથી બ્રહ્મ માં શબ્દ નો પડઘો પડે છે.અને પ્રભુ ની પરમ-શક્તિ નું અવતરણ થાય છે.
મોટે થી જપ કરવા કરતાં મૌનજપ કે માનસી જપ એ વધુ ઉત્તમ છે.
માનસી જપ ની અસર મન પર થાય છે,માનસી જપ માં ધીરે ધીરે જપ નો અર્થ પ્રત્યક્ષ થાય છે.
અને પછી એવી સ્થિતિ થાય છે કે-મનમાં જપ નું રટણ સૂક્ષ્મ-રૂપે ચાલ્યા જ કરે છે.

સવારે નાહી-ધોઈ ને એકાસને બેસી શરીર સ્થિર કરી જપ કરવો ઉત્તમ છે.
તેમ છતાં રામ-નામ તો હાલતાં ચાલતાં,ખાતાં પીતાં,નહાતાં ધોતાં-ગમે ત્યારે લઇ શકાય છે.
ભક્તિ નોં આ મહિમા છે,કળિયુગ માં ભક્તિ વિના બીજું કોઈ સાધન હાથ-વગુ નથી.
નામ-એ જ બ્રહ્મ છે.ઈશ્વર નું નિર્ગુણ સ્વ-રૂપ અતિ સૂક્ષ્મ છે.મન-બુદ્ધિથી તે પર છે.અને
ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપ નો સાક્ષાત્કાર કરવાની શક્તિ મનુષ્ય માં નથી.

પરમાત્મા નું સગુણ-રૂપ-દર્શન કરી ને અર્જુન પણ બોલી ઉઠયો હતો કે-
પ્રભુ,તમારું આ રૂપ જોઈ ને મારું મન ભય થી વ્યાકુળ થઇ રહ્યું છે.
ત્યારે નામ-બ્રહ્મ નું દર્શન સર્વ ને થઇ શકે છે.કીર્તન માં તાળી પડવાથી નાદ-બ્રહ્મ થાય છે.
નામ-બ્રહ્મ અને નાદ-બ્રહ્મ –એક થતાં પરબ્રહ્મ પ્રગટ થાય છે.

ઈશ્વર સર્વમાં છે –સર્વવ્યાપક છે –એમ ખાલી બોલવાથી કશી પ્રાપ્તિ થતી નથી કે એમ
જાણવાથી પણ કશી પ્રાપ્તિ નથી,ખાલી ભગવાન ને ચંદન-પુષ્પ ચડાવી દેવા એ કઈ ભક્તિ નથી.
સર્વ માં સદભાવ રાખવો તે ભક્તિ છે.ઈશ્વર ની મૂર્તિ માં જેવો ભગવદભાવ રાખીએ છીએ તેવો
ભાવ ભગવાને રચેલી આ સૃષ્ટિ માં,પદાર્થમાત્રમાં રાખવો અને ઈશ્વર સર્વમાં વિરાજેલા છે,
એવો જે અનુભવ કરે છે તે ધન્ય છે.

પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવો જોઈએ,શુદ્ધ વ્યવહાર તે ભક્તિ છે.
જેના વ્યવહાર માં દંભ છે અભિમાન છે તેને ભક્તિ નો આનંદ આવતો નથી.
મર્યાદા-પુરુષોત્તમ શ્રીરામ આપણ ને વ્યવહારમાં કેમ વર્તવું તે બતાવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE       NEXT PAGE