=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-19

રામાયણ-રહસ્ય-19

શિવજી કહે છે -
જેના હૃદયનું દર્પણ મેલું છે,જેના પર વાસના ના પડળ જામી ગયા છે,
તે રામના સ્વરૂપ ને જોઈ શકતો નથી.તે અંધ,મૂર્ખ અને અભાગી છે.
જે માયા ને વશ થઇ જન્મ-મરણ ના ફેરા માં ભટક્યા કરે છે,એ
રામ ના સગુણ-નિર્ગુણ સ્વરૂપ ને કેવી રીતે સમજી શકવાનો છે?
પણ જે વિચારશીલ છે,જેના ચિત્તમાં ભ્રમ રૂપી અંધકાર નથી,જેણે મોહ રૂપી મદિરા નું પાન કરેલું નથી,જેના મન-દર્પણ પર વાસના નો મેલ ચડ્યો નથી તે જ સમજી શકશે કે નિર્ગુણ અને સગુણ માં કંઈ ભેદ નથી.ઋષિ-મુનિઓ કહે છે અને વેદ-પુરાણો સાક્ષી પૂરે છે,કે જે નિર્ગુણ નિરાકાર છે,અવ્યક્ત છે,અનાદિ છે,
તે જ ભક્તો ના પ્રેમ ને વશ થઇ સગુણ થાય છે.

જેમ પાણી અને પાણી નો બરફ –એ બે જુદા નથી,તેમ નિર્ગુણ અને સગુણ જુદા નથી.
જેનું નામ-માત્ર મોહ નો નાશ કરી દે છે,તેને પોતાનો મોહ કેવો?  (રામ ને વિરહ કેવો?)
શ્રીરામ તો સચ્ચિદાનંદ સૂર્ય છે તેમાં મોહ રૂપી રાત્રિ નો લવલેશ પણ અંશ નથી.
હર્ષ-શોક વગેરે તો જીવ ના ધર્મો છે,સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા ના નહિ.
શ્રીરામ તો પોતે જ માયાના અધિશ્વર છે,અને પોતે જ માયા ના પ્રકાશક છે,

જેમ છીપ માં ચાંદી દેખાય છે,રણમાં ઝાંઝવા નું જળ દેખાય છે,તેવી આ માયા છે.
માયા અસત્ય છે છતાં તે દુઃખ આપે છે.સ્વપ્ન માં કોઈ માથું કાપી નાખે તો દુઃખ થાય છે પણ પછી
સ્વપ્નમાંથી જાગી ગયા કે દુઃખ ઉડી જાય છે,તેમ હરિ નો આશ્રય લેતાં જ માયા નું દુઃખ હટી જાય છે.
જેમની કૃપા થી માયા નો આ ભ્રમ હટી જાય છે,તે શ્રીરામ છે,શ્રીરામ જ સ્વયં બ્રહ્મ અને પરમાત્મા છે.
માયા ના અધિશ્વર એવા તેમને માયા શું કરી શકે? પણ, આ તો બધી તેમની લીલા છે.

શિવજી ના આવાં વચન સાંભળી પાર્વતીજીની  શંકા નિર્મૂળ થઇ.
રામ-રક્ષા સ્તોત્રમાં શિવ-પાર્વતી ના સંવાદ રૂપે શ્રીરામ નું સ્તવન કરેલું છે.
જેમાં ભક્ત મસ્તક થી લઇ પોતાના પગ સુધી ના સમસ્ત દેહ ની રક્ષા પ્રભુ ની પાસે માગે છે.
રામની રક્ષા જેણે માગી અને જેણે પોતાનું સર્વસ્વ રામના રક્ષણ હેઠળ ધરી દીધું,
એને પછી જીવન માં પરાજય,ભય,ચિંતા કે કોઈ દુઃખ રહેતું નથી.

કથા શ્રવણ એ સત્કર્મ છે,સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો તે દિવ્ય બને છે.
સત્કર્મ ને કાળ (સમય) નો નિયમ લાગુ પડતો નથી.સત્કર્મ ને કાળ ના હવાલે છોડાય નહિ.
તેને મુલતવી રાખવું નહિ,પણ તત્કાળ (તરત) કરવું જોઈએ.

એક વાર ધર્મરાજા પાસે એક યાચક દાન લેવા આવ્યો,તેને તેમણે બીજે દિવસે આવવા નું કહ્યું.
ભીમે આ વાત સાંભળી અને વિજય-દુંદુભિ (ઢોલ) વગાડવા માંડ્યો.બધાએ તેનું કારણ પૂછ્યું તો-
ભીમ કહે છે કે આજે મોટાભાઈએ કાળ પર વિજય મેળવ્યો છે, જ્ઞાનીઓ કહે છે કે –
આ પળે જ મૃત્યુ આવાનું છે તેમ સમજી ને સત્કર્મ કરવું,પરંતુ મોટા ભાઈ ને ખાતરી છે કે તે કાલ
સુધી જીવવાના છે.ધર્મરાજા સમજી ગયા અને યાચક ને પાછો બોલાવી દાન આપ્યું.

કાળ ને કોઈ જીતી શક્યું નથી,વાઘ ઘેટાં ના બચ્ચા ને ગળામાંથી પકડે છે તેમ કાળ સહુ ને આવી ને પકડે છે.આમ કાળ સહુ ને ડરાવે છે પણ ભગવાન ના ભક્ત ને તે ડરાવી શકતો નથી.
જે ભક્ત કાળ થી ડરતો નથી તેનાથી કાળ ડરે છે.

મનુષ્ય કેટલા ય ને માંદા પડતા,વૃદ્ધ થતા ને મરી જતા જુએ છે,તોયે તેને મોહ રહ્યા કરે છે,અને માને છે કે પોતે મરવાનો જ નથી. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે.(યુધિષ્ઠિર-યક્ષ સંવાદ)
(અહ્ન્યાની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ,શેષામ સ્થિરત્વમ  મીચ્છ્ન્તી કિં આશ્ચર્યમતિ પરમ)

અજગર દેડકા ને ગળી રહ્યો હોય અને દેડકાના મુખ આગળ માખી આવે તો તે માખી પકડવાનો પ્રયત્ન કરે છે.તેમ માણસ મોતના મોં માં પડ્યો છે તો યે –આમ કરું અને આમ લઉં-તેમ કર્યા કરે છે.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE