=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-20

રામાયણ-રહસ્ય-20

કથા શ્રવણથી જેમ પરીક્ષિત ના મૃત્યુ નો ભય ટળી ગયો હતો,તેમ રામ-કથા સાંભળવાથી પણ મૃત્યુ નો ભય ટળે છે.
ભગવાને ગીતાજીમાં દૈવી ગુણો ની વ્યાખ્યા આપી છે,તેમાં સહુથી પહેલું સ્થાન અભય ને આપ્યું છે.જેને અભય સિદ્ધ કર્યો તે બચી ગયો,તે અમર થઇ ગયો.

વેદાંતાધિકાર સર્વ ને નથી.સાધન ચતુષ્ટ્ય ,નિત્યા-નિત્ય વિવેક,ષડસંપત્તિ.વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી.પણ કથા નો અધિકાર સર્વે ને છે.જે ભગવદ કથા નો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદ માં બેસાડે છે.અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે.ધ્રુવજી ની પેઠે મૃત્યુના માથા પર પગ મૂકી ને તે નિરભય થઈને પ્રભુ ના ધામ માં જઈ શકે છે.

જેમ ભાગવત એ નારાયણ નું સ્વરૂપ છે તેમ રામાયણ પણ નારાયણ નું સ્વરૂપ છે.
જીવ,જગત અને ઈશ્વર નું જ્ઞાન રામાયણ માંથી મળે છે.પણ એકલું જાણેલું (જ્ઞાન) કામનું નથી,
જીવનમાં કેટલું ઉતાર્યું છે તે કામનું છે.અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.
શ્રીરામ ના દિવ્ય સદગુણો જીવન માં ઉતારવાના છે.પૂર્વ જન્મ નો બહુ વિચાર કરવા ની જરૂર નથી.

જનક રાજાએ એક વખત યાજ્ઞવલ્કય ઋષિ પાસે પોતાના પૂર્વ જન્મો જોવા ની માગણી કરી.
ત્યારે યાજ્ઞવલ્કયે કહ્યું-રાજા તે જોવામાં બહુ સાર નથી.પણ જનકરાજા એ હઠ છોડી નહિ.ત્યારે ઋષિએ
તેમને તેમના પૂર્વજન્મો બતાવ્યા.જનકે જોયું કે પોતાની પત્ની એક જન્મ માં પોતાની માતા હતી.
એ જોઈ જનક રાજા ને બહુ દુઃખ થયું. તેથી પૂર્વજન્મ ના વિચારો બહુ કરવા જોઈએ નહિ.
આ જન્મ જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.ને આ જન્મ માંથી જ આવતા જન્મ ને ઘડવા નો પ્રયત્ન કરવો જોઈએ.આવતો જન્મ લેવો જ ના પડે તેવી સ્થિતિ સર્વ થી સારી છે,પણ તે અતિ દુર્લભ પણ છે.
કોઈ મહા ભાગ્યશાળી ના ભાગ્ય માં તે હોય છે.
પણ એ સ્થિતિએ પહોંચવા માટે પુરુષાર્થ કરી શકાય છે અને તે આપણા હાથ ની વાત છે.

કથા એ કીર્તન ભક્તિ નું સ્વરૂપ છે.અને કીર્તન ભક્તિ થી જેમ પરમાત્મા નાં દર્શન થાય છે,તેમ
કથા શ્રવણથી પણ પરમાત્મા નાં દર્શન થઇ શકે છે. કથા કીર્તન દ્વારા મૃત્યુ સુધરે છે.
એટલા માટે તુલસીદાસે રામકથા નો હેતુ ભવસાગર તરવાનો છે એમ કહ્યું છે.
મૃત્યુ કોને નથી?મૃત્યુ નો ડર કોને નથી? સહુ ને મૃત્યુ નો ડર છે એટલે રામકથા રૂપી ઔષધિ ની સર્વ ને જરૂર છે.પરમાત્મા એ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ પોતાનું નામ છુપાવ્યું નથી.નામ પ્રગટ છે.

કથા સાંભળવા ઘણા જાય છે.પણ સહુ પોતપોતાની રીતે કથા સાંભળે છે.
કથા ભલે ને ઉંચા સ્તર પર ચાલતી હોય પણ કોઈ મન થી બેસીને ,કોઈ બુદ્ધિથી બેસીને કોઈ ચિત્તથી બેસી ને તો કોઈ અહંકાર થી કથામાં બેસીને કથા સાંભળે છે.
અહંકાર માં બેઠેલો ખરેખર કશું સાંભળતો જ નથી.પોતે અહમ માં એવો ડૂબેલો હોય છે કે શબ્દો કાન
પરથી જ ચાલ્યા જાય છે.આમ આવા લોભ,મોહ,મદ –વાળો મનુષ્ય, મનમાં જ આવા ભાવ સાથે કથા
સાંભળે છે.પણ કશું સાંભળતો નથી. જ્ઞાની મનુષ્ય બુદ્ધિમાં બેસી ને અને ભક્ત ચિત્તમાં બેસી ને કથા સાંભળે છે. કથા ના સાચા શ્રોતા થવા  સહુ પ્રથમ અહંકાર છોડવો જોઈએ.(તો કથા કાને પડે)

મનુષ્ય જો અહંકાર છોડી ને કથા સાંભળે તો કથા નો પ્રવાહ ગંગાજી ની પેઠે એનાં
મન,બુદ્ધિ અને ચિત્ત ને પાવન કરવા હાજર જ છે.

શિવજી શ્રીરામ નો મહિમા ગાતાં પાર્વતી જી ને કહે છે કે-શ્રીરામ અનંત છે,તેમના ગુણો અનંત છે,તેમના જન્મ,કર્મ અને નામ પણ અનંત છે.જળ ના કણો કે પૃથ્વીના રજકણો કદાચ ગણી શકાય પણ રામચરિત નો મહિમા ગણતાં તેનો પાર નહિ આવે.

શિવજી ને સાથે આપણે પણ શ્રી રઘુનાથજી નો મહિમા ગઈ, સ્તુતિ કરી અને તેમની પાસે થી
અનન્ય ભક્તિ અને સત્સંગ માગી ને તેમની પ્રાર્થના કરીને રામાયણ ની શરૂઆત કરીએ.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE