=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-28

રામાયણ-28


રઘુનાથજી મંદાકિની ના કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિની ના કિનારે પર્ણકુટી માં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.

રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકો ને ખબર પડી છે. લોકો દોડતા
રામ- સીતા ના દર્શન કરવા આવ્યા છે. રામજી ના દર્શન થી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,
જીવન સુધરી ગયું. રામજી ની નજર માં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું  મદિરાપાન અને માંસાહાર છૂટી
ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

રામજી ચિત્રકૂટ માં વિરાજ્યા છે ત્યારથી,ચિત્રકૂટ ના ઝાડો ફળફૂલ થી નમી ગયાં છે. ઋષિ-મુનિઓ
ભગવાન ના દર્શન કરવા આવે છે.રામજી નો નિયમ છે કે તે મંદાકિનીમાં સ્નાન કરે છે, સૂર્ય ને અર્ધ્યદાન
આપે છે.ભગવાન શંકર ની નિયમ થી પૂજા કરે છે. લક્ષ્મણ કંદમૂળ લઇ આવે તે ખાય છે.
ગુહક ને વિદાય આપી છે.

આ તરફ રામજીએ મંત્રી સુમંત ને અયોધ્યા જવા આજ્ઞા આપેલી પણ ગુહક ચિત્રકૂટ થી પાછો આવ્યો –
ત્યાં સુધી તે ગંગાકિનારે જ હતા. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે,
ઘોડાઓ ખડ(ઘાસ) ખાતા નથી,પાણી પણ છોડ્યું છે, માલિક ના વિયોગ માં વ્યાકુળ થયા છે.

મંત્રી સુમંત વિચારે છે-કે-જે રામજી ના વિયોગ માં પશુઓ ને આટલું દુઃખ થાય છે-તો-
રામજી ના માત-પિતાની શું હાલત થઇ હશે ? તેમના પ્રાણ હવે ટકશે નહિ.
હવે અયોધ્યા પાછો જાઉં તો અયોધ્યાની પ્રજા અને રાજા મને પૂછશે કે રામ ને ક્યાં છોડી આવ્યા ?
હું શું જવાબ આપીશ ?ધિક્કાર છે- મને કે રામજી ને છોડી ને હું જીવતો ઘેર જાઉં છું!!

ગુહકે આવીને મંત્રી સુમંત ને કહ્યું કે-તમે તો જ્ઞાની છો,ધીરજ ધારણ કરો.
ગુહકે ચાર ભીલો ને આજ્ઞા કરી છે કે મંત્રી ને અયોધ્યા પહોંચાડી આવો.

મંત્રીએ અડધી રાત્રે નગર માં પ્રવેશ કર્યો. વિચારે છે મારે કોઈ ને મોઢું બતાવવું નથી.
બીજે દિવસે સવારે કૈકેયી ના મહેલ માં રાજા દશરથને મળવા ગયા પણ મહારાજ ત્યાં નહોતા.
એવું બનેલું કે-રામજી એ વન પ્રતિ પ્રયાણ કર્યું –તે પછી દશરથ રાજાએ કહ્યું –કે મારે કૈકેયી ના મહેલ માં
રહેવું નથી મને કૌશલ્યા ના મહેલ માં લઇ જાઓ. –એટલે તે ત્યાં કૈકેયી ના મહેલ માં નહોતા.
સુમંતને તે વાતની ખબર નહોતી. ખબર જાણી - સુમંત કૌશલ્યા ના મહેલ માં આવ્યા.

મહારાજ દશરથ ધરતી પર પડ્યા છે.રામવિયોગ ના પાંચ દિવસ પુરા થયા છે, મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે, મંત્રી એ આવી પ્રણામ કર્યા, દશરથે આંખો ઉઘાડી અને પૂછ્યું કે-
મારો રામ ક્યાં છે ?તમે રામજી ને ના લાવ્યા?મારો રામ ક્યાં?મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા ?
કોઈ તો મારા રામને બતાવો ?સીતાજી પાછાં આવ્યાં કે નહિ?મને રામ પાસે લઇ જાવ.
સુમંત  ની આંખ માં આંસુ ભરાણાં છે.

સુમંત કહે છે-કે મહારાજ ધીરજ રાખો, આપ તો જ્ઞાની છો, હું રામજી નો સંદેશો લઈને આવ્યો છું.
હું કેવો નિર્દય કે રામજી ના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું?? મેં રામજી ને અયોધ્યા આવવા ઘણો આગ્રહ કર્યો –ત્યારે રામજી એ કહ્યું-કે-પિતાની આજ્ઞા નું પાલન કરવું એ મારો ધર્મ છે.મારા પિતાજી ને મારા
પ્રણામ કહેજો,પિતાજી ને માટે હું જે કરું તે ઓછું છે.તેમના પ્રતાપ થી અમે કુશળ છીએ.
સીતાજીએ મને કહેલું કે-મંત્રીજી આપ તો મારા પિતા સમાન છો,હું અયોધ્યા નહિ આવી શકું,મારા પતિ વગર હું જીવીશ નહિ,મારા સસરાજી ના ચરણ માં મારા પ્રણામ કહેજો.

દશરથ મહારાજ અતિ વ્યાકુળ થયા છે,કહે છે-કે-મારા પ્રાણ અકળાય છે,મારી છાતી માં દુખે છે, મને
શ્રવણ નાં આંધળાં માત પિતાએ શાપ આપ્યો છે-કે –મારું પુત્ર-વિયોગ માં મરણ થશે. તે સમય હવે આવ્યો
હોય તેમ લાગે છે, રામના વિયોગ માં હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?

મધ્યરાત્રિ ના સમયે દશરથ રાજાએ-રામ.રામ.રામ –એમ પાંચ વાર કહી દેહ નો ત્યાગ કર્યો.
(પાંચ પ્રાણ ને સિદ્ધ કરવા પાંચ વાર રામનામ નો ઉચ્ચાર કર્યો છે.)
દશરથ રાજાનો રામ-પ્રેમ સાચો,દશરથ નો રામ-વિયોગ સાચો--કે રામના વિયોગ માં તે જીવ્યા નથી.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE