=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-૧૧

રામાયણ-૧૧


ત્યારે વશિષ્ઠજી દશરથ ને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.
તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામ ની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજી ના લગ્ન નો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજી ના લગ્ન થશે.
માટે તેઓ ને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”

દશરથ જી રામ ના લગ્ન ની વાત સાંભળી ખુશ થયા છે. વશિષ્ઠ માં તેમને પૂર્ણ વિશ્વાસ હતો.
રામ-લક્ષ્મણ ને સભામાં બોલાવ્યા અને દશરથે તેમને કહ્યું કે –વિશ્વામિત્ર ના યજ્ઞ નુ રક્ષણ કરવાનુ છે.
રામજીએ કહ્યું-કે આપ આજ્ઞા આપો તે કરીશું. અને રામજી જવા તૈયાર થયા.
અને માતા કૌશલ્યા ની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે-બેટા,તમારાં પિતા કહે તેમ કરવાનું.
તેમની આજ્ઞા તે જ મારી આજ્ઞા.તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો.

કૌશલ્યા એ વિચાર્યું-મારો રામ યૌવન માં પ્રવેશ કરે છે,વિશ્વામિત્ર જેવા સંયમી-તપસ્વી પુરુષ ની સેવા
કરશે –સત્સંગ થશે-તો સુખી થશે.વળી નારદજી એ કહેલું કે રામજી ના લગ્ન આ વર્ષ માં થવાના છે-એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યા એ આશીર્વાદ આપ્યા છે.

યૌવન માં જ સત્સંગ ની જરૂર છે, પંદર વર્ષ ની ઉંમર પછી યૌવન ની શરૂઆત થાય છે, પંદર થી ચાલીશ વર્ષના ગાળા ને ગદ્ધા-પચીસી કહે છે,તે સમય માં મનુષ્ય પશુ જેવો થાય છે,તે વખતે-સત્સંગ ની બહુ જરૂર છે. ડોસાને ડહાપણ આવે –શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે તો તે વખતે તે કંઈ કરી શકતો નથી.

કૌશલ્યા એ વિશ્વામિત્ર ને કહ્યું-મારો રામ બહુ શરમાળ છે-તે તો મા ની પણ મર્યાદા રાખે છે, ભૂખ લાગે તો પણ તે મને કંઈ કહેતો નથી. મારી પાસે પણ માગતો નથી તો તમારી પાસે કેવી રીતે માગશે ?
મારો રામ દુબળો ન થાય,તેને માખણ મિસરી ખવડાવજો.

વિશ્વામિત્ર કહે ચ-મા તમે ચિંતા ના કરો,મારા આશ્રમ માં ઘણી ગાયો છે, યાદ રાખી ને હું રોજ –
રામ-લક્ષ્મણ ને માખણ ખવડાવીશ.

શ્રીરામ ને –શ્રીકૃષ્ણ ને માખણ-મિસરી બહુ ભાવે છે.
જીવન ને મિસરી ની જેમ મધુર (મીઠું-ગળ્યું) બનાવવાનું છે.
જીવન માં મીઠાશ આવે છે-સંયમથી-સદગુણો થી.
જીવન માં મીઠાશ લાવવી હોય તો-જગતના સર્વ જીવો ને માન આપવું જોઈએ.
બીજા ને માન આપવાથી જીવન મીઠું-મધુર થાય છે.
જેના જીવન માં મીઠાશ નથી તે પ્રભુ ને ગમતો નથી.
જેનું હૃદય માખણ જેવું કોમળ છે-જેના જીવનમાં ચારિત્ર્ય ની મીઠાશ છે-તે પ્રભુ ને ગમે છે.
પણ જેના જીવન માં કપટ અને કડવાશ છે-તે વ્યક્તિ ભક્તિ કરે તો પણ તેની ભક્તિ ભગવાન ને ગમતી નથી. જ્ઞાનદાન,વિદ્યાદાન,અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.
સર્વ ને માન આપવાનું-એક પૈસા નો પણ ખર્ચો નહિ.
જે કોઈ કર્કશ વાણી બોલતો નથી-કોઈનું અપમાન કરતો નથી અને સર્વ ને માન આપે છે-તેના જીવન માં
મિસરી જેવી મીઠાશ આવે છે.

માતપિતાના આશીર્વાદ લઇ ને રામ-લક્ષ્મણ –વિશ્વામિત્ર ની સાથે નીકળ્યા છે.
વિશ્વામિત્ર સહુથી આગળ ચાલે છે-તેમની પાછળ લક્ષ્મણ અને લક્ષ્મણ ની પાછળ ચાલે છે શ્રીરામજી.

વિશ્વામિત્ર-એટલે વિશ્વ ના મિત્ર. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે-વિશ્વામિત્ર.
જગત નો મિત્ર છે-જીવ- મનુષ્ય એટલે કે-જીવ –જયારે જગતનો મિત્ર થાય છે-એટલે –
“શબ્દ-બ્રહ્મ” તેની પાછળ પાછળ આવે છે-(લક્ષ્મણ –શબ્દ બ્રહ્મ છે)
અને તેની પાછળ “પર-બ્રહ્મ” (રામજી) પણ આવે છે.

જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ-પણ કોઈ ના વેરી –ના થવાય તો પણ ઘણું.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE